શ્રીયમુનાજીના સહસ્ત્ર નામ (1)
આલેખન – પૂર્વી મોદી મલકાણ
વક્તવ્ય – ચેતના ઘીયા શાહ
જયશ્રીકૃષ્ણ મિત્રો, આજથી સમન્વય પર આપણે એક નવી શ્રેણી શ્રીયમુનાજીના સહસ્ત્ર નામ શરૂ કરી રહ્યાં છીએ, જેમાં આપણે શ્રીયમુનાજીનાં વિવિધ નામ તથા તેનાં માહાત્મ્ય વિશે જાણીશું.
વ્હાલા વૈષ્ણવો આપને ખબર છે ? ઝાર ખંડથી વ્રજમાં પધારેલા શ્રીવલ્લભને, શ્રીયમુનાજીએ, ગોવિંદ ઘાટ અને ઠાકુરાનીઘાટ વિષેની વિભિન્નતા બતાવી .. ત્યારે શ્રી વલ્લભે યમુનાષ્ટકની રચના કરી પરંતુ, વેદોએ યમુનાજીના હજારો નામ બતાવ્યાં છે. આ નામ ઉપર અનેક ઉપનિષદોએ વિવિધ કારણ રજુ કર્યા છે, તથા આપણા બધા જ વલ્લભ વૈષ્ણવાચાર્યો અને અન્ય માર્ગીય વૈષ્ણવાચાર્યોએ વિવિધ ટીકાઓ રજુ કરી છે. અહીં શ્રી વલ્લભના આશીર્વાદથી, અમે એ પ્રયત્ન કરી રહ્યાં છીએ કે આપને યમુનાજીના વિવિધ નામ, ગુણ, લીલા અને રૂપ તે વિષે સવિસ્તૃત જાણાવા મળે પરંતુ શ્રી યમુનાજીના આ સહસ્ત્ર નામને પત્ર રૂપે લખવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે અમારા માટે દરેક વાંચક, એ વૈષ્ણવ મિત્ર છે. અને આ મિત્રો અહીં સખીઓ અને સખાઓ રૂપે છે.
હું અને પૂર્વીબેન માનીએ છીએ કે વ્રજ ભૂમિમાં કેવળ એક ભગવાન શ્રીકૃષ્ણ છે એટલે કે આપણા ઠાકોરજી છે . અને ભક્તજનો સખી કે સખા રૂપે રહેલા છે . અહીં શ્રીયમુનાજીના પ્રત્યેક નામ અમે પત્રરૂપે લખી અને વક્તવ્ય રૂપે રજુ કરીને અમારા બધા જ સખાઓ તથા સખીઓને મોકલી રહ્યાં છીએ, તેને વાંચતા અને સાંભળતા, આપ સહુને ચોક્કસ આનંદ આવશે એવી આશા છે. ઈતિ અસ્તુ !
ચાલો વૈષ્ણવો આપણે આપણાં ગ્રંથની શરૂઆત કરીએ. પરંતુ શરૂઆત કરતાં પહેલા આપણે મંગલાચરણ સાથે સાથે બોલીએ જેથી કરીને આપણી ઉપર મહારાણીમાંના આર્શિવાદ વરસતા રહે.
મંગલાચરણ
ભગવાન શ્રીકૃષ્ણથી વિખુટા પડ્યે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી જેના હૃદયમાં તાપ અને કલેશનો આનંદ જાગેલો છે એવો હું જીવ ભગવાન શ્રીકૃષ્ણને આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંત:કરણ, ધર્મ, ગૃહ, સ્ત્રી, પુરુષ, પુત્ર, કુટુંબ, ધન , આલોક, પરલોક, આત્મા સહીત સમર્પણ કરું છું … હે કૃષ્ણ, હું તમારી છું ..!!
૧ श्री यमुनै नमः
પ્રિય સખીઓ તથા સખાઓ,
કૃષ્ણ કેડી પરના શ્રી યમુનાજીના તીર પર તમારું સ્વાગત છે. સખી, શ્રીયમુનાજીના શત નામાવલીની જાણકારી મળે તે હેતુથી આજથી આપણે પત્રોરૂપી સફરની શરૂઆત કરીશું, અને જેટલા નામ વિષે અમને સમજ છે તેટલા શ્રી યમુનાજીના નામ વિષે આપણે સાથે જાણીને નામસ્મરણ કરતાં જઈશું. સખી, જાણે છે કે આપણે ત્યાં શ્રી યમુનાજીના તીર અને તટ્ટ એ બંને શબ્દ ખૂબ જ પ્રખ્યાત છે પરંતુ તીર અને તટ્ટ આ બન્ને વચ્ચે ઘણો મોટો ભેદ રહેલો છે તે શું તું જાણે છે? સામાન્યત્ઃ વૈષ્ણવો તીર અને તટ્ટ બંને શબ્દનો એક જ અર્થ સૂચવતા હોય છે પરંતુ આ બંને શબ્દ વચ્ચે ભેદ એ છે કે તીર એટ્લે નદીના કિનારા પર બાંધેલા ઘાટને તીર કહેવામાં આવે છે અને જ્યાં બાંધેલો ઘાટ નથી અને ફક્ત વાલુકા વડે જે કિનારો શોભી રહ્યો છે તેને તટ્ટ કહેવામાં આવે છે. સખી, આપણો ભારતખંડ અનેક નદી અને સરિતા વડે શોભી રહ્યો છે. પરંતુ જેના તીર અને તટ્ટ બંને પૂજનને યોગ્ય ગણાય છે તેમાં એક માત્ર સરિતા સ્વરૂપ શ્રી યમુનાજી છે. શ્રી યમુને, સૂર્યસૂતા શ્રી યમુને મહારાણીજીનો મહિમા ઉપનિષદ, વેદ અને પુરાણોએ ગાયેલો છે. શ્રી યમુના બોલતા બોલતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના મુખ મિસરીની ડલીથી ભરાઈ જાય છે. કારણ કે શ્રી યમુના એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની માત છે, મહારાણી છે. પિતાની પાસે વૈષ્ણવ બાળને દોરીને લઈ જનારી શ્રી યમુના એ શ્રી ઠાકુરજીની ચતુર્થ પ્રિયતમા છે. સખી શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે જ્યારે જીવોના કરોડો જન્મોના પુણ્યોદયનો પ્રભાવ થાય ત્યારે જીવ શ્રી યમુનાજીનું નામ લઈ શકે છે અને નામ લેતાની સાથે જ પુષ્ટિજીવોનો ભાગ્યોદય થાય છે, અને જ્યારે ભાગ્યોદય થાય છે ત્યારે શ્રી યમુનાજીની કૃપાથી પુષ્ટિજીવોને શ્રી વલ્લભ અને શ્રી ઠાકુરજીના ચરણોની સેવાની પ્રાપ્તિ થાય છે, પરંતુ આવી શ્રી યમુના મહારાણીના દર્શન, વંદન, સ્મરણ, પાદસેવન, પાન, સ્પર્શથી જીવોના અનેક દોષોનો નાશ થઈ જાય છે આથી શ્રી મહાપ્રભુજી કહે છે કે “कलिं धति खंडयति इति कालिन्दी” જે કલિના દોષોનો નાશ કરે છે તે કાલિંદી છે. સખી, આજે આપણી મહારાણીને વંદન કરી આજથી આપણે આપણી સફરની શરૂઆત કરીશું. સખી, શ્રી વલ્લભના ચરણોમાં દંડવત પ્રણામ કરી, શ્રી યમુનાજીના અષ્ટોત્તર નામની પરિક્રમા ચાલુ કરીએ અને સાથે સાથે શ્રી મહારાણીમાંને પણ વિનંતી કરી કહીશું કે હે માં આ માર્ગમાં અમારી કરેલી પ્રાર્થનાનો સ્વીકાર કરી અમારાથી થતાં પ્રત્યેક દોષને ક્ષમા આપજો.
પદ
જયશ્રીકૃષ્ણ
***













5 Responses to Shri Yamunaji Sahastra-Nam…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments