આજે આ વિષય રી-પોસ્ટ કરી રહી છું.. ગુજરાતી સાહિત્ય અકાદમી લંડનના ઉપક્રમે યોજાયેલી સાહિત્ય બેઠક ‘કાવ્યચર્યા’ માં શ્રીવિપૂલભાઈ કલ્યાણી તથા શ્રીપંચમભાઈ શુક્લના આમંત્રણને માન આપવા અનિવાર્ય સંજોગોને લીધે હાજરી આપી શકી નહીં પરંતુ, વડીલ સ્વ. સુરેશભાઈને શ્રદ્ધાંજલી રૂપે ઓડિયો રેકોર્ડેડ વક્તવ્ય મોક્લ્યું હતું ..
લંડનમાં આ સાહિત્ય બેઠક દર મહિનાના પહેલા શનિવારે યોજાય છે અને શ્રીવિપૂલભાઈ કલ્યાણી, શ્રીપંચમભાઈ શુક્લ, શ્રીઅનિલભાઈ વ્યાસ, શ્રીમતિ ભદ્રાબેન વડગામા, શ્રીવલ્લભભાઈ નાંઢા, શ્રીનિરજભાઈ શાહ, ધ્વનીબેન જોષી-ભટ્ટ .. વિગેરેની મહેનત પ્રશંશનીય છે.. ગુજરાતી ભાષાને ધબકતી રાખવાના અનેક પ્રયત્નો સરાહનીય છે … આ કાર્ય ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના..! ફરી એક્વાર આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ..!!
શ્રદ્ધાંજલી
પ્રખર સાહિત્યકાર, સુપ્રસિદ્ધ કવિ, જાણીતા નિબંધકાર, સંપાદક, ‘ઈમેજ’ પ્રકાશનના સહ-સ્થાપક તેમજ ‘ચિત્રલેખા’માં ‘ઝલક’ના કટારલેખક તથા મારા પણ પ્રિય કવિ ડો. સુરેશ દલાલનું શુક્રવારે હૃદય બંધ પડી જવાથી અવસાન થયું છે. તેમની વય ૮૦ વર્ષની હતી. શ્રીકૃષ્ણ – રાધા- મીરાંબાઈના ચરિત્ર પર અનેક કવિતાઓ લખનાર તથા પ્રસિદ્ધ ગોપીગીતનો સુંદર રસાસ્વાદ આલેખનાર આ મહાન કવિને ઈશ્વરે ખુદ પોતાના જ જન્મદિને કૃષ્ણ મય બનાવી પોતાની પાસે બોલાવી લીધાં … જાણે કે એમની જોડે કાવ્ય ગોષ્ઠીનો આનંદ લેવો હોય …!! પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે એમના આત્માને શાંતિ અર્પે ..!!!
*****
કવિમિત્ર ડો.વિવેકભાઈ ટેલરનાં આ શબ્દો સાથે હું પણ સહમત છું કે,
”ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી…
એક તોતિંગ ગઢ… એક આખું આકાશ…
ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી…
એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ?
સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા ”
આજે કવિશ્રી આપણી વચ્ચે હયાત નથી, છતાં એમની રચનાઓ કૃતિઓ તથા એમના સ્વરથી હંમેશ જીવંત રહેશે ..!!!!
પ્રસ્તુત છે એમનાં જ સ્વરમાં, કૃષ્ણમય બની જવાય એવી એમની આ રચનાઓ …!!
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !
વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી, કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત ?
વળી વળી નીરખે છે, કુંજગલી પૂછે છે, કેમ અલી ? ક્યાં ગઇ’તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ, એની પૂછી પૂછીને લ્યે ગંધ,
વહે અંતરની વાત એ તો, આંખ્યુની ભૂલ જો કે, હોઠોની પાંખડીઓ બંધ,
મારે મોંએ થી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે
અરધી રાતે દરશન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની, જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે !
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે જગની માયા જૂઠી રે !
***












13 Responses to શ્રદ્ધાંજલી – કવિ ડો. સુરેશ દલાલ…
Type a word in English and press SPACE to transliterate. Press CTRL+G to switch between English and Gujarati.
Thanks for supporting & encouraging me with your precious comments.
Facebook Comments